Thursday, 9 November 2017

સ્પર્શ !

       હું  67 વર્ષનો  થયો  છું.મારી સાત દાયકાની  આ સફર ખૂબસૂરત રહી છે.
મેં  કશુંક  મેળવ્યું  છે તો  કશુંક   ગુમાવ્યું   પણ  છે. આ  જ  જીવનનો  ક્રમ  છે.
કશુંક આવે તો કશુંક જાય છે.જન્મ-બચપણ -શૈશવ -યૌવન.....એક પછી એક 
મને વૃદ્ધત્વ તરફ લઈ આવ્યા છે.પણ મને ઘરડો નથી કરી શકયા.આ તો માત્ર 
શરીરની એક અવસ્થા છે.
       સેવાનિવૃત્ત  થયે  પણ  આજ-કાલ  કરતાં  સાત વર્ષ નીકળી ગયાં.કોઈએ 
કહ્યું છે  નિવૃત્ત થાય એને માત્ર બે કામ હોય......pension  લેવાનું અને  tension 
દેવાનું.આમાં  હું પણ આવી જાઉં ને ?હા,નિવૃત્ત છું  એટલે આ વાક્ય  મને પણ 
લાગુ પડે.પણ એક વાત છે તમે  જિંદગીને કઈ રીતે જીવો છો એના પર ઘણું 
અવલંબિત છે.અભિગમ બદલે તો આ વ્યાખ્યા પણ બદલાઈ શકે.વિકસવું હોય 
તો નિવૃત્તિ પણ વિકસી શકે છે.
       આપણી નકારાત્મકતા  કોઈને  tension આપી શકે  પણ સકારાત્મકતા 
tension  દૂર પણ કરી શકે.જે માણસ નિવૃત્તિમાં -પૃવૃત્તિ શોધી શકે  એ કદીય 
કોઈ માટે કંટાળાનો પર્યાય ન બની શકે.હું પણ હંમેશાં ઘોંઘાટ વિનાની સક્રિ-
યતાનો ચાહક છું.હા,એમાં મારો ગ્રુપ,મારા સમવયસ્ક મિત્રો,મારો પરિવાર ,
મારી કવિતા મારી સાથે છે.મારા મોજીલા મનને કોઈ tension સ્પર્શતું નથી.
બાકી તો retirement  જેવો કદરૂપો શબ્દ એકેય નથી.
        મારી પોતાની એક દુનિયા છે.મારી સાંજને હું  walk-way પર રોજ  રળિ-
યામણી  કરું છું.કોઈ પણ  એજંડા વિના મિત્રો સાથે ગપ્પા પણ મારુ છું.સામા-
જિક કાર્ય કરું છું.મને મારા ગજા પ્રમાણે કશુંક મળી રહે છે.એદી  ની  જેમ 
ઘરમાં પડયા  રહેવાનું મને ગમતું નથી.'સાંધ્યદીપ'માં (વરિષ્ઠ કવિઓની 
સંસ્થા )કવિતાને વહેતી મૂકું છું.' surbhi grup of  music'ની બેઠકમાં સાયગલ,
હેમંતકુમાર,ગુલામઅલી,રફી,મુકેશ,મન્નાડે,કિશોરકુમારે ગાયેલાં ગીતો 
ગાઉં છું અને સાંભળું છું.લખું છું -વાંચું છું .આ મારુ રજવાડું છે.નવરાત્રિ 
જેવાં ઉત્સવોનું આયોજન કરું છું.મને જે ગમે છે એમાં તલ્લીન રહું છું .બીજાને 
બાંકડે બેસવાનું મને ગમતું નથી.
          હા.માત્ર ભૂતકાળને લઈ ને નહીં,પણ વર્તમાનને પણ સાથે લઈને 
ચાલું છું.ગાડું ચલાવતો .....આજે કાર પણ ચલાવું છું,ગિલ્લી -દંડે રમતો 
આજે ચેસ પણ રમું છું. ઇન્ટરનેટનો  વિવેકપૂર્વક ઉપયોગ કરું છું.હું કોઈને 
tension  આપતો નથી પણ આ દુનિયાનું tension મારાં ગીત,મારી ગઝલ 
ના માધ્યમથી દૂર કરવાના પ્રયાસ કરું છું.મારી કલમમાં શબ્દો પડઘાય છે
અને લાગણીઓ ટહુકા કરે છે.....મંદાક્રાંતા....અનુષ્ટુપ....ભુજંગી....બંધુએ 
સમેટી લઉં છું  મારી ભીતરે ..અને સંવેદના મ્હોરી ઊઠે છે.
                                                 ***  
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ,તા.18-11-2017 
        



    

No comments:

Post a Comment