Saturday, 11 August 2018

                                                          પુસ્તક  મારું  પંચામૃત  !

      પુસ્તક વિષે લખવાનું બને ત્યારે મને મારી શાળાના દિવસોની ખાસ યાદ આવી જાય.મને મારી શાળાના 
એ શિક્ષકોએ  પુસ્તક માટે અહોભાવ રાખવાનું  ન શીખવ્યું હોત  તો મારા મિત્રવર્તુળમાં પુસ્તકનું સ્થાન હોત કે 
કેમ તે એક પ્રશ્ન છે.નવુંનકોર પુસ્તક ઘરમાં આવે એટલે મારે મન કોઈક માંગલિક પ્રસંગ જેવું થઈ જાય.હું જાતે 
તેને સુંદર પૂઠું ચઢાવું .ઉપર નામ લખું તો સરસ અક્ષરોમાં,ધીમેથી ઘૂંટીને વાંચું.વાંચું તો પણ ખોળામાં મૂકીને 
વધુ પડતું પહોળું ન થઈ  જાય એ રીતે .અંદર મોરપિચ્છ કે પુષ્પોની પાંખડીઓ વચ્ચે વચ્ચે રાખું.થોડાક દિવસ 
તો મિત્રોને બોલાવીને જણસ બતાવતો હોઉં એવા હરખથી એ પુસ્તક બતાવું.કોઈ એને જોતાં  જોતાં  પહોળું કરી 
નાખે ,કોઈક ખૂણામાંથી એનું પૃષ્ઠ વાળવાનો પ્રયત્ન કરે અથવા લીટાલપેડા કરવા જાય તો ગુસ્સે થઈ જાઉં અને 
કેટલીયે વાતો સંભળાવી દઉં.
      અમુક મહિનાઓ પછી પુસ્તક ક્યાંકથી ફાટ્યું હોય તરતજ જાતે બાઇન્ડર બની ગુંદરથી તેને સાંધી દઉં ત્યારે
જ શાંતિ થાય.પુસ્તક એ મારા માટે પુસ્તક નથી સાક્ષાત વિદ્યા છે,સરસ્વતી છે.એ મારો પ્રિય મિત્ર છે.બચપણથી 
જ એક લયરૂપે મારામાં એ ઘુંટાતું આવ્યું .પુસ્તક પ્રેમનો એ સિલસિલો એવો ચાલ્યો કે ધરવ માય જ નહીં.
      અહીં  કશી આપવડાઈ મનમાં નથી પણ પુસ્તક સાથે જે મૈત્રી બંધાઈ એને હું મારા જીવનની એક મોટી ઘટના 
સમજું છું.પુસ્તક;થોડા કાગળ,થોડાક પ્રિન્ટસ કે બે પૂંઠા -એવું સાદું ગણિત નથી.પુસ્તક એટલે જીવન ,પુસ્તક 
એટલે જગત,પુસ્તક એટલે જીવનનો શ્વાસ,ઓળખ,સંસ્કાર અને સંસ્કૃતિ છે.પુસ્તક એ પંચામૃત છે.
      પુસ્તક આનંદ આપનાર કદાચ સૌથી મોટું,સૌથી ઉમદા,સૌથી શિષ્ટ મિત્ર છે.તેની મૈત્રીનો આનંદ અનેરો છે.
પુસ્તકની પ્રશસ્તિ લખીયે તો પાર ન આવે .એક માણસ બીજા માણસ સાથે મિત્રતા કરે,એક માણસ કુટુંબ સાથે 
મોજ માણે ,સમૂહમાં ભળવાની મજા માણે....એ બધી વાત બરાબર છે.પણ જે માણસ પુસ્તક સાથે દોસ્તી કરી 
શકે તે માણસ અવશ્ય જીવનને જીતી જાય છે.પુસ્તકો વચ્ચે જીવવાનો પણ એક નશો છે.
     પુસ્તકને  જન્મ લેતાં  સદીઓ લાગી છે અને એટલેજ એ  સદીઓ સુધી જીવશે.રેડિયો,સિનેમા,ટીવી તમને 
મનોરંજન પૂરું પડી શકે.માહિતી આપી શકે...પણ પુસ્તક તો આનંદદાતા છે.પુસ્તક જ એકાકી માનવીનો સાચો 
સાથીદાર છે અને રહેશે.આ ઘડીએ મને વિશેષ હરખ એ છે કે ખુદ મારું  લખેલું પુસ્તક -ને  હું  છું (ગઝલ સંગ્રહ )
ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે.દીવા ની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો
આનંદ દુનિયામાં એકેય નથી.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો.   99090  71588
   


       

No comments:

Post a Comment